![]()
Ahmedabad Accident bagodara Bavla Highway: અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાયલા સ્થિત મોગલધામ ખાતે આયોજિત લોક ડાયરો માણીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની રીક્ષા કેરાળા ગામ પાસે પલટી ખાઈ જતાં રિક્ષાચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
લોક ડાયરાની ખુશી માતમમાં ફેરવાઈ
મળતી માહિતી મુજબ, ભાયલા મોગલધામ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાવળામાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની એવા કેટલાક શ્રદ્ધાળુઓ રીક્ષામાં સવાર થઈને આ ડાયરો જોવા ગયા હતા. વહેલી સવારે જ્યારે તેઓ પરત બાવળા તરફ જઈ રહ્યા હતા, ત્યારે કેરાળા ગામ પાસે રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રીક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી.
બચાવ કામગીરી અને પોલીસ કાર્યવાહી
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત પાંચેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેરાળા પોલીસ ચોકીના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી મૃતક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો હતો અને અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.















