![]()
વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા
સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી બનાવનો
ટ્રાયલ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે આ કેસમાં તમામ ૪૫ સાક્ષીઓની જુબાની
પુરી થતા આજે પાંચ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. કેસની વધુ સુનાવણી
તા.૩ એપ્રિલના રોજ હાથ ધરાશે અને તેમાં બન્ને પક્ષે ફાઇનલ દલીલો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૧૧.૩૦
કલાકે પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા હતા અને
તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ કેસની ટ્રાયલ પોક્સોની
સ્પેશ્યલ કોર્ટમાં હાલ ચાલી રહી છે ત્યારે આજે આ કેસમાં આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ
લેવામાં આવ્યાં હતા.
મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે, આ
કેસમાં અત્યાર સુધીમાં ૪૫ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે અને હવે કોઇ સાક્ષીની
જુબાની બાકી રહેતી ન હોઇ આજે તમામ પાંચ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યાં
હતા.આ કાર્યવાહી સતત પાંચ કલાક સુધી ચાલી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ૪૫ સાક્ષીઓએ આપેલી જુબાનીના ૪૦૭ પેજના આધારે
આજે આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા જેમાં તપાસ અધિકારીની જુબાની,
એફએસએલ અધિકારીની જુબાની સહિતના તમામ સાક્ષીઓની જુબાનીના આધારે
પ્રશ્નો પુછીને ફર્ધર સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યાં હતા.
કેસની વધુ સુનાવણી હવે તા.૩ એપ્રિલના રોજ હાથ ધરાશે. આ કેસમાં
તમામ સાક્ષીઓની જુબાની પુરી થઇ ગઇ છે અને આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ પણ આજે
લેવામાં આવતા હવે આ કેસમાં બન્ને પક્ષે ફાઇન દલીલો કરવામાં આવશે અને ત્યાર બાદ
કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવશે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ
કેસમાં એક પણ સાક્ષી ફર્યો નથી. કેસની મોટાભાગની કાનુની પ્રક્રિયા પુરી થઇ હોવાથી
આગામી નજીકના દિવસોમાં જ ચૂકાદો આવી જશે તેમ મનાઇ રહ્યું છે.















