![]()
Jamnagar Crime : જામનગર શહેરના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને બળજબરીથી ઉઘરાણીના ગુનામાં પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટના બેંક કર્મચારી અને તેના પરિવારનું અપહરણ કરી તેમને જામનગરમાં એક બંગલામાં ગેરકાયદેસર રીતે બંધક બનાવી ધમકી અને મારકૂટ કરી રૂપિયા પડાવવાના આરોપો સામે આવ્યા છે.
આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત ચાવડાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક અજાણ્યો શખ્સ પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ, 27.20 લાખ રૂપિયાની લેવડદેવડને લઈને વિવાદ સર્જાતા આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનું અપહરણ કર્યું હતું. જામનગર ખાતે એક બંગલામાં રાખી ધમકીઓ આપી અને મારકૂટ કરી અંદાજે 9.75 લાખ રૂપિયા બળજબરીથી વસૂલ્યા હતા.
આ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.















