“પૈસા નહીં આપે તો પતાવી દઈશ”ની ધમકી આપનાર વ્યાજખોરોને પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા
ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: “બે દિવસમાં પૈસા નહીં આપે તો પતાવી દઈશ” – આ માત્ર એક ધમકી નહોતી, પણ આર્થિક સંકડામણમાં ફસાયેલા એક નિર્દોષ યુવાન માટે તેના જીવનનો અંત લાવવાનો મજબૂર કરી દેતો આદેશ હતો.
જ્યારે માનવતા મરી પરવારે અને વ્યાજના લોભમાં અંધ બનેલા તત્વો ચપ્પુની અણીએ વસૂલાત કરવા નીકળે, ત્યારે સામાન્ય માણસ આત્મહત્યાના આરે આવીને ઊભો રહી જાય છે. સુરતના સામાન્ય પરિવારના આયુષ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું, પરંતુ ગુજરાત પોલીસની સમયસૂચકતા અને કડક કાર્યવાહીએ આવા અનેક નિર્દોષોને બચાવી લીધા છે.
રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને જડમૂળથી ઉખેડવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની સૂચનાથી ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી એક મહિનાની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં વ્યાજખોરો સામે કુલ ૧૧૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ૧૩૬ તત્વોની ધરપકડ કરવામાં આવી છે.
આર્થિક તંગીથી ઘેરાયેલા સુરતના આયુષે જૂન-૨૦૨૫માં પ્રીત ઉર્ફે ભીમ સોસા પાસેથી ૧૦% વ્યાજે રૂ. ૨૦,૦૦૦ લીધા હતા. વ્યાજખોરે રૂ. ૨,૦૦૦ એડવાન્સ કાપી, કોરો ચેક પડાવીને આયુષનું શોષણ શરૂ કર્યું.
જ્યારે આયુષે સમય માંગ્યો ત્યારે આરોપી પ્રીત અને અંકિત ઠાકોરે તેને રસ્તામાં રોકી, ગાળાગાળી કરી અને પૈસા નહીં આપે તો ચપ્પાથી પતાવી દઈશ તેવી ધમકી આપી. સુરતની ચોકબજાર પોલીસે આ મામલે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક ધોરણે બંને આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં, આ બંને વ્યાજખોરો સમાજ માટે ખતરો ન બને તે માટે તેમની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ માત્ર ગુના નોંધીને અટકી નથી રહી, પરંતુ લોક દરબાર દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. લોકોને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા બચાવવા માટે સરકારી લોન યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.















