Silver and Gold Price and Import Duty : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા કરેલી અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે આ દિશામાં મોટું આર્થિક પગલું ભર્યું છે. સરકારે સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં (આયાત શુલ્ક) મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે હવે દેશમાં સોના-ચાંદીની આયાત મોંઘી થશે અને સ્થાનિક બજારમાં તેની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે.
નવી ડ્યૂટીનું ગણિત
સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી 6 ટકાથી વધારીને હવે 15 ટકા કરી દીધી છે. આ દરમાં નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે:
બેઝિક કસ્ટમ ડ્યૂટી: 10 ટકા
એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ: 5 ટકા
કુલ ડ્યૂટી: 15 ટકા
શા માટે લેવાયો આ નિર્ણય?
સરકારના આ કડક નિર્ણય પાછળના મુખ્ય ત્રણ કારણો માનવામાં આવે છે:
આયાત ઘટાડવી: સોનાની આયાત ઘટાડીને વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) પરનું દબાણ ઓછું કરવું.
રૂપિયાને ટેકો: સતત ઘટી રહેલા ભારતીય રૂપિયાને સ્થિર કરવા માટે ડોલરનો બહાર જતો પ્રવાહ રોકવો.
આર્થિક વ્યૂહરચના: પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે દેશની આર્થિક સુરક્ષાને મજબૂત કરવી.
બજેટ 2024 ની સ્થિતિ પરત આવી
નોંધનીય છે કે, ભારત સરકારે વર્ષ 2024 ના બજેટમાં સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15% થી ઘટાડીને 6% કરી હતી, જેના કારણે આયાતમાં રેકોર્ડ વધારો થયો હતો. હવે તાજા નિર્ણય બાદ ડ્યૂટી ફરીથી એ જ જૂના સ્તરે પહોંચી ગઈ છે.
અધિકારીઓની ચિંતા
જોકે, કેટલાક અધિકારીઓએ આ નિર્ણય અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે ડ્યૂટીમાં વધારો થવાથી સોનાની સ્મગલિંગ (ગેરકાયદે આયાત) વધી શકે છે. 2024 માં ડ્યૂટી ઘટ્યા બાદ સ્મગલિંગના કેસોમાં ઘટાડો થયો હતો, જે હવે ફરી વધી શકે છે.















