![]()
Ahmedabad News: મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેવેન્થ ડે સ્કૂલ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. શાળાનો વહીવટ ફરીથી સત્તાધીશોને સોંપવામાં આવતા વાલીઓમાં બાળકોના ભવિષ્ય અને એડમિશનને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.
શું છે સમગ્ર વિવાદ?
ગત વર્ષે શાળામાં એક વિદ્યાર્થીના મોતના મામલે ભારે હોબાળો થયો હતો, જેના પગલે શિક્ષણ વિભાગ (DEO) દ્વારા શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લેવામાં આવ્યો હતો. જોકે, હવે નવું સત્ર શરૂ થાય તે પહેલા વહીવટ ફરીથી શાળાના સંચાલકોને સોંપાતા નવો વિવાદ ઉભો થયો છે. વાલીઓને ડર છે કે શાળાનું રજિસ્ટ્રેશન ગમે ત્યારે રદ થઈ શકે છે.
આ પણ વાંચો: બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
વાલીઓની મુખ્ય ચિંતા અને એડમિશનનો પ્રશ્ન
શાળાનું રજિસ્ટ્રેશન રદ થવાની લટકતી તલવાર વચ્ચે વાલીઓ નીચે મુજબની મૂંઝવણો અનુભવી રહ્યા છે. જો એડમિશન લીધા બાદ રજિસ્ટ્રેશન રદ થાય, તો મોટી રકમની ફી ગુમાવવી પડી શકે છે. આ ઉપરાંત અધવચ્ચેથી માન્યતા રદ થતા બાળકોના અભ્યાસ પર માઠી અસર થવાની ભીતિ છે. વાલી જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા શાળાનો ઘેરાવ કરી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, રજિસ્ટ્રેશન રદ નહીં થાય તેવી ખાતરી આપ્યા બાદ જ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે.
શાળા સત્તાધીશોનો બચાવ
આ મામલે વાલીઓના વિરોધ બાદ શાળાના સ્પોક પર્સન વરલી ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે કટિબદ્ધ છે. જોકે, જ્યારે તેમને શાળાના દસ્તાવેજો અને માન્યતા અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેઓ મૌન સેવીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. હાલમાં આ અનિશ્ચિતતાને કારણે સેવેન્થ ડે સ્કૂલમાં સંતાનોને ભણાવતા અને નવા એડમિશન લેવા ઈચ્છતા વાલીઓ ભારે અસમંજસમાં છે.














