![]()
વડોદરા,અણખોલ ગામ નજીક હિમાલયા પાર્ટી પ્લોટના પાર્કિંગમા ડ્રેનેજની કામગીરી માટે ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને પ્રોજેક્ટ મેનેજરના મોતના ગુનામાં છેલ્લા ૧૨ દિવસથી વડોદરા જેલમાં રહેતા આરોપીનું મોત થયું છે.
ટી.પી. સ્કીમ ૨૫ (હનુમાનપુરા, અણખોલ, બાપોદ, ખટંબા) ખાતે આવેલા ૧૮ મીટરના રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરી કરવા માટે ડ્રાફ્ટ એગ્રીમેન્ટથી કન્સટ્રક્શન અંગેનો કોન્ટ્રાક્ટ વુડા પાસેથી જ્યંતિસુપર કન્સટ્રક્શન પ્રા.લિ. ના પ્રોપરાઇટર જ્યંતિ અંબાલાલ પટેલે નવેમ્બર ૨૦૧૧ માં લીધો હતો. એગ્રીમેન્ટમાં કરેલી શરતોનો ભંગ કરીને ગ્રીસ્વા ઇન્ફ્રા પ્રોજેક્ટ એલ.એલ.પી., અમદાવાદના પ્રોપરાઇટર સંજય માધવભાઇ ખૂંટને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. શ્રમજીવી અક્ષય શનાભાઇ ભાભોર તથા પ્રોજેક્ટ મેનેજર વિપુલ મનસુખભાઇ માંગરોલીયા ને ગત ૧૩ મી ફેબુ્રઆરીએ બપોરે સલામતીના સાધનો પૂરા પાડયા વગર ડ્રેનેજની સાફ સફાઇ કરી કન્સટ્રક્શનનું કામ સોંપ્યું હતું. જેના કારણે ચેમ્બરમાં ઉતરેલા બંનેના મોત થયા હતા. આ કેસની તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી હતી કે, આ ચેમ્બર ચાલુ થઇ નહતી. તેમછતાંય તેમાં હિમાલયા પાર્ટી પ્લોટવાળાએ ગેરકાયદે કનેક્શન જોડી દીધું હતું. પાર્ટી પ્લોટ છેલ્લા ૮ વર્ષથી ભાડે ચલાવતા જયેશ નટવરલાલ પંડયા , ઉં.વ.૬૩ (રહે.સુભાષપાર્ક, સોસાયટી, સંગમ ચાર રસ્તા પાસે, હરણી રોડ) ની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.આજે સવારે તેઓને છાતીમાં દુખાવો થતા જેલમાંથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું.















