Vasant Sampat : આગામી 20 માર્ચનો ખાસ દિવસ ખગોળની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને તેને વસંત સંપાત, સ્પેરો ડે અને હેપીનેસ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ 20 માર્ચથી અયનકાળ અને સંપાતકાળ મુજબ વસંત ઋતુનો આરંભ થાય છે, જે પ્રકૃતિમાં સૌંદર્ય અને સુખાકારીની ઋતુ મનાય છે.
વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા…
જ્યારે સૂર્ય રવિ માર્ગ ઉપર પોતાની દક્ષિણથી ઉત્તર તરફની વાર્ષિક આકાશી યાત્રા તરફ આગળ વધે છે, ત્યારે સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ વખતે તે આકાશી વિષુવવૃત્તને એક બિંદુ આગળ છેદે છે, જેને વસંત સંપાત કહેવામાં આવે છે. આ સ્થાનને સાયન ગણના પ્રમાણે આરંભ સ્થાન પણ કહેવામાં આવે છે. આ ઘટના 21 માર્ચની આસપાસ બને છે. આ વર્ષે આ ઘટના 20 માર્ચના રોજ બનશે.
ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ મહત્ત્વ
આ દિવસે સૂર્યકિરણો પૃથ્વીના એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધીના બે સરખા ભાગ પાડી દે છે. જેથી પૃથ્વીના દરેક ભાગમાં રાત અને દિવસની લંબાઈ સરખી બને છે. ખગોળની પરિભાષામાં કાન્તિવૃત્ત અને વિષુવવૃત્ત એકબીજાને છેદે છે, તે દરેકને સંપાતબિંંદુ કહેવામાં આવે છે.
20 માર્ચના રોજ જ્યારે સૂર્ય 149 મિલિયન કિલોમીટર દૂર હશે ત્યારે તેના કિરણો સીધા વિષુવવૃત્ત ઉપર પડશે. જુદા-જુદા શહેરમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થોડી મિનિટોનો ફરક રહેતો હોય છે, પરંતુ એકંદરે આ દિવસે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ રહેશે. આ દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઉગશે અને બરાબર પશ્ચિમ દિશામાં આથમશે.
20 માર્ચે વિશ્વ હેપીનેસ દિવસ ઉજવશે
20 માર્ચના રોજ વિશ્વ હેપીનેસ દિવસ ઉજવશે. કોઈના જન્મ દિવસે, કોઈ ખાસ તહેવારના દિવસે સોશિયલ મીડિયાના માધ્યમમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે, પરંતુ શું ખરેખર તે મેસેજમાં કોઈ આત્મીયતા હોય છે? ખરેખર તો સમગ્ર વિશ્વનું સંચાલન કરનાર શક્તિમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને જ હંમેશા હેપી રહી શકાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા
20 માર્ચે વિશ્વ ચકલી દિવસ
આપણા પર્યાવરણમાં જેનું ખુબ જ મહત્ત્વ છે અને શહેરીકરણની દોટમાં જેની સંખ્યા ઘટવા લાગી છે, તે ચકલીઓને બચાવવા અને તેના સંવર્ધન માટે 20 માર્ચના રોજ સ્પેરો દિવસની ઉજવણી કરવામાં આવે છે. થોડો વર્ષો પહેલાં ઘેર ઘેર ચકલીઓનો કલરવ સાંભળવા મળતો, પરંતુ આજે મોબાઈલ ફોનનું રેડિયેશન, નવી ઢબના બાંધકામ, એરકંડિશનનો વધુ ઉપયોગ, વૃક્ષોનું નિકંદન વગેરેથી ચકલીઓ દૂર જવા લાગી છે. હવે થોડી સભાનતા અને સમજને કારણે પ્રકૃતિ અને વૃક્ષોની કિંમત સમજાઈ છે. ચકલીઓના માળાના વિતરણ, ઘર આંગણે વૃક્ષોના વાવેતરને કારણે ચકલીઓનો થોડો કલરવ સાંભળવા મળી રહ્યો છે.















