આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓ માટે ‘ઇલેક્ટ્રિક કાર’ સેવાઓનું લોકાર્પણ; ૨૫૦થી વધુ અંગદાન થકી ૧૦૦૦થી વધુ દર્દીઓને મળ્યું નવજીવન
આયુર્વેદ, સંતુલિત જીવનશૈલી અને સંવેદનશીલતા પણ જીવન બચાવવાનું મોટું દાન છે: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ નિમિત્તે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓ માટે ‘ઇલેક્ટ્રિક કાર’ સેવાઓનું લોકાર્પણ કરવા આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે અંગદાન એ મહાદાન છે. અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલ તથા IKDRC – આ ત્રણેય સરકારી હોસ્પિટલોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશનની બાબતોમાં સમગ્ર ભારતમાં નંબર વન કામગીરી થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, આજે નાની વયે ડાયાલિસિસ અને હૃદયરોગના દર્દીઓ વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ અસંતુલિત ખાન-પાન અને જંક ફૂડ છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદ (ચરક અને સુશ્રુત સંહિતા) રોગ થતાં પહેલાં બચવાના નિયમો શીખવે છે. ખોરાકમાં ભેળસેળ અટકાવવી, કેમિકલ પ્રદૂષણ રોકવું, વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખવી અને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવી એ પણ અંગદાન જેટલું જ મોટું પુણ્યનું કામ છે.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે મેડિસિટી કેમ્પસમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ છે. દિલીપદાદાએ ૫ લાખ કિલોમીટરથી વધુ પ્રવાસ કરીને અંગદાનનો સંદેશ પહોંચાડ્યો છે. આ ઉપરાંત યાસ્મીનબેનના સહયોગથી મુસ્લિમ પરિવારો દ્વારા અંગદાન શક્ય બન્યું છે, જે દર્શાવે છે કે અંગદાન ધર્મની સીમાઓથી પર માનવસેવા છે.
UNMICRC નિયામક ડૉ. ચિરાગ દોશીએ અંગદાન માટે એક નવો સિદ્ધાંત રજૂ કર્યો: દાન(Donation)= દિલીપભાઈ દેશમુખ દાદા. દિલીપદાદાએ પોતાની સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના બીજાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને અનેક જિંદગીઓને નવજીવન આપવાનું કાર્ય કર્યું છે. દેશમાં દર વર્ષે ૫૦,૦૦૦ દર્દીઓ હાર્ટ ફેલિયરથી પીડાય છે, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ માત્ર ૩૦૦નું થાય છે. જો બ્રેન ડેડ અંગદાન વધશે તો હજારો દર્દીઓને સમયસર નવજીવન મળશે.
IKDRC નિયામક ડૉ. પ્રાંજલ મોદી અને શ્રી દિલીપભાઈ દેશમુખ (દાદા)એ પણ અંગદાનના મહત્વ અને સમાજમાં જાગૃતિ લાવવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
અદ્યતન કોન્ફરન્સ હોલ “પ્રેરણા કક્ષ”ના અનાવરણ ઉપરાંત હોસ્પિટલમાં આવતા દર્દીઓ, તેમના સગા- સંબંધિઓ અને સ્ટાફની સુવિધા માટે નવી ઇલેક્ટ્રિક કાર સેવાઓનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં થયેલા ૨૫૦થી વધુ અંગદાન અને ૧૦૦૦થી વધુ અંગ-પેશી દાનની ભાવુક અને પ્રેરણાદાયી સફરને સાંકળતા પુસ્તક “અમરગાથા”નું મંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક અંગદાતાઓ અને તેમના પરિવારો દ્વારા સમાજ પ્રત્યે આપવામાં આવેલા અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપે છે.
અંગદાન અભિયાનને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવનાર IKDRC ટીમ, UNMICRC ટીમ અને સિવિલ હોસ્પિટલની ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BJ મેડિકલ કોલેજના ડીન ડૉ.મીનાક્ષી પરીખ, DMERના અધિક નિયામક ડૉ. જયેશ સચદે સહિત મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.















