![]()
– નીટ-યુજીના પેપર લીક મુદ્દે ટેલીગ્રામ પર 22મી સુધી પ્રતિબંધનો વિવાદ
– પરીક્ષા આપી રહેલા લોકોના કારણે ટેલીગ્રામ યૂઝર્સના અધિકારોને કેવી રીતે અટકાવી શકો? : દિલ્હી હાઇકોર્ટ
નવી દિલ્હી : નીટ-યુજીનું પેપર લીક થયા બાદ હવે ૨૧મી તારીખે ફરી આ પરીક્ષા યોજાવા જઇ રહી છે. એવામાં હવે ફરી પેપર લીક ના થાય અને તેને ટેલીગ્રામ એપ્લિકેશન પર ફરતુ કરવામાં ના આવે તે હેતુથી કેન્દ્ર સરકારે ૨૨મી તારીખ સુધી ટેલીગ્રામ પર જ પ્રતિબંધ મુકી દીધો હતો. જેને પગલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સાથે જ ટેલીગ્રામની અરજીની સુનાવણી પર કેન્દ્રને સવાલ કર્યો છે કે કેટલાક હજાર લોકો પરીક્ષામાં હાજર થઇ રહ્યા છે તેમના નામે ૧૫ કરોડ લોકો (ટેલીગ્રામ યૂઝર્સ)ના અધિકારોને કેવી રીતે છીનવી શકાય?
ટેલીગ્રામ પર ૨૨મી તારીખ સુધી ભારતમાં પ્રતિબંધ મુકતા કેન્દ્ર સરકારના આદેશ સામે મેસેજિંગ એપ્લિકેશન ટેલીગ્રામ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો, સરકારને સવાલ કરતા હાઇકોર્ટના ન્યાયાધીશ તેજસ કારિયાએ એવો સવાલ કર્યો હતો કે કેટલાક નાગરિકો પરીક્ષામાં જોડાઇ રહ્યા છે તેને કારણે દેશના તમામ ૧૫ કરોડ નાગરિકો (યૂઝર્સ)ના આ મેસેજિંગ એપ્લિકેશન ઉપયોગ કરવાના અધિકારોને કેવી રીતે રોકી શકાય?
હાઇકોર્ટે અરજદાર ટેલીગ્રામના વકીલને પણ સવાલો કર્યા હતા અને પૂછ્યું હતું કે આટલી બેઠકો યોજવા છતા ટેલીગ્રામ દ્વારા સંતોષકારક જવાબ કે પગલા કેમ લેવામાં ના આવ્યા. બાદમાં સરકાર દ્વારા આઇટી કાયદા હેઠળ ટેલીગ્રામ પર જે પ્રતિબંધ મુકાયો તે નિર્ણય પર સવાલ ઉઠાવતા હાઇકોર્ટે કેન્દ્રને સરકાર પાસેથી જવાબ માગ્યો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે અમે સરકાર પાસેથી સ્પષ્ટતા માગીએ છીએ. ટેલીગ્રામ દ્વારા હાજર વકીલે એવી દલીલ કરી હતી કે સરકાર એવો દાવો કરી રહી છે કે ટેલીગ્રામ પર આંશીક પ્રતિબંધ ભારતની અખંડતા અને સંપ્રભુતાને ધ્યાનમાં રાખીને લગાવાયો છે. નીટ જેવી પરીક્ષા ભારતની અખંડતા પર કેવી રીતે અસર કરી શકે? શું વિચારીને સરકારે આવી દલીલ કરીને ટેલીગ્રામ પર પ્રતિબંધ મુક્યો હશે?
બાદમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ એવી દલીલ કરી હતી કે ટેલીગ્રામ પર જે કઇ પેપર લીકને લઇને થઇ રહ્યું છે તેવું અન્ય પ્લેટફોર્મ પર શક્ય જ નથી, ટેલીગ્રામ પર એક પેટર્ન છે. ટેલીગ્રામ ખુદ તેને રોકવા કઇ કરી શકે તેમ નથી. જેમ કે ટેલીગ્રામનો એક યૂઝર ૪૦ બોટ્સ ક્રીએટ કરી શકે છે જ્યારે વોટ્સએપમાં એક યૂઝર પાસે એક જ બોટ યૂઝર હશે. વળી ટેલીગ્રામની પોલિસી કહે છે કે એક એકાઉન્ટ ડિલિટ થાય તો તેના તમામ ડેટા પણ ડિલિટ થઇ જાય છે જેમાં મેસેજ, મીડિયા સ્ટોરેજ બધુ જ જતું રહે છે. આતંકી પ્રવૃત્તિ માટે પણ ટેલીગ્રામનો વધુ ઉપયોગ થતો હોવાના રિપોર્ટ છે. નોંધનીય છે કે ટેલીગ્રામ ગુ્રપમાં બે લાખ સુધી મેમ્બર્સ જોડાઇ શકે છે, મોબાઇલ નંબર જાહેર કર્યા વગર પણ ચેટિંગ થઇ શકે છે.















