![]()
Jamnagar : જામનગર શહેરના સુભાષ બ્રિજ નજીક ટ્રાફિકમાં અવરોધ ઉભો કરી તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે અભદ્ર વર્તન કરનાર એક કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ તા. 20 એપ્રિલ 2026ના રોજ સાંજે અંદાજે પોણા સાત વાગ્યે સુભાષ બ્રિજ નજીક કે.એમ.સી. પાનની દુકાન પાસે “નો પાર્કિંગ” ઝોનમાં એક અર્ટીગા કાર (રજી.નં. જી.જે.10 ડી.જી. 6545) રોડ પર એવી રીતે પાર્ક કરવામાં આવી હતી કે જેના કારણે અન્ય વાહનચાલકોને અવરજવર કરવામાં અડચણ ઉભી થઈ રહી હતી.
ટ્રાફિક બ્રિગેડના મનદીપસિંહ મહાવીરસિંહ વાળા નામના જવાન દ્વારા વાહન સાઇડમાં લેવા સૂચના આપવામાં આવતાં કારચાલક સમીર ઝખરા (રહે. રવિપાર્ક, જામનગર) દ્વારા સૂચનાનું પાલન કરવા બદલે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. વધુમાં આરોપીએ ધક્કામુક્કી કરી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 221, 285 તથા મોટર વાહન અધિનિયમની કલમ 122 અને 177 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પો.સબ ઇન્સ્પેક્ટર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં કારચાલક સમીર જખરા પોતાની કાર લઈને ભાગી છુટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઈ રહી છે.















