વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા )
તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ ટેકરી આશ્રમમાં બ્રહ્મલીન પૂજ્ય વિજયગીરી બાપુના પરમ આશીર્વાદ અને પૂ લાલગીરી બાપુના સંકલ્પથી પૂજ્ય મોરારિબાપુના શ્રી મુખેથી તારીખ 18 થી 26 એપ્રિલ સુધીની “માનસ શિવ સંકલ્પ “રામકથાનું સુંદર રીતે આયોજન થયું. તેના અંતિમ પડાવમાં આજે તારીખ 26 ના રોજ હનુમાનજીની વિદાય સાથે કથાને વિરામ આપવામાં આવ્યો.
પૂ. મોરારિબાપુએ આજના કથા સંવાદમાં કહ્યું કે રામ ભરતજી હનુમાનજી ત્રણેયની યાત્રાને આપણે સમજીએ તો સમગ્ર રામાયણનો સાર સમજાઈ જાય છે.રામ અયન એટલે રામાયણ, રામની યાત્રા અયોધ્યાથી જનકપુર ભરતની અયોધ્યાથી ચિત્રકૂટ અને હનુમાનજીની સંપાતીથી લંકા સુધીની યાત્રા અનેક વિઘ્નો વચ્ચે પણ પુર્ણ થઈ.જો આપણે શરણાગત હોઈએ તો તે સફળ થાય છે.
તાડકા એ યાત્રાને રોકી પરંતુ તેને નિર્માણ પદ આપવામાં આવ્યું. મારીચ અને સુબાહુએ પણ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. મારીચ એ દુઃખ છે અને સૂબાહું એ દોષ છે. દોષથી મુક્ત થઈ શકાય અને તેથી સુબાહુને રામે માર્યો અને તેનાથી મુક્ત થયા. પરંતુ મારીચ એ દુઃખ છે તેને મારી ન શકાય અને તેને ભોગવવું જ રહ્યું.એટલે મારીચને લંકા સુધી ફેંક્યો એટલે કે દુઃખ એ દૂર કરી શકાય અને તે રીતે રામ અયનની યાત્રા અનેક વિધ્નો સાથે આગળ વધતી રહી અને વિરામ પામી.
કથાના ક્રમમાં આજે બાપુએ બાલકાંડ પછીના છ સોપાનોની કથા સંક્ષિપ્તમાં વર્ણવી હતી. જેમાં ભગવાન રામજીનું સીતા સ્વયંવરથી શરૂ કરીને રાવણના નિર્વાણ પછી રામજીનું અયોધ્યામાં આગમન અને અવધપુરીમાં રામ રાજ્યના ઉત્સવ સુધીનો કથાક્રમ લેવામાં આવ્યો હતો.
આ કથા અહીં થઈ શકી તેની પ્રસન્નતા અને રાજીપો બાપુએ વ્યક્ત કર્યો હતો. કથામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈ સ્વયંસેવકો તન મન ધન જે પણ રીતે સેવા કરતા રહ્યા તેમને સાધુવાદ અર્પણ થયાં હતા.
આજની કથામાં જીએસટીના અધિકારી શ્રી લાલ સ્વામી, આરએસએસ ના પ્રચારક શ્રી, મુખ્ય યજમાન અને જેમની નિશ્રામાં સમગ્ર આયોજન થયું તેવા પૂજ્ય લાલગીરી બાપુ અને સૌ કોઈએ આ કથાને સફળ કરવામાં જે પ્રયત્ન કર્યો છે તે માટે સૌને ધન્યવાદ આપ્યા હતા.
કથા દરમિયાન સંચાલન સુરતના શ્રી દિપકભાઈ રાજ્યગુરુનું હતું. સુરેશભાઈ ગોટી સહિતના આગેવાનો આ કથા ને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા હતા. પ્રાથમિક શિક્ષક સંઘની એક ટીમ શ્રી હઠીસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ સેવામાં જોતરાઈ હતી.
વ્યાસપીઠ સાથે સમર્પિત ભાવથી જોડાયેલા મહુવાના શ્રી ચીમનભાઈ વાઘેલાએ સતત કથા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંચ વ્યવસ્થાપનમાં શ્રી નિલેશભાઈ વાવડીયાની સેવા નોંધપાત્ર હતી.માધ્યમો સાથે જોડાયેલા અનેક લોકોએ પણ આ કથાને વિશેષ રૂપે સૌ સુધી પહોંચતી કરવા ઉમદા પ્રયત્નો કર્યા હતા.















