![]()
હનુમાન જયંતીના દિવસે ભીડભંજનની આરાધના
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરા ગામમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર સહિત ખેડા જિલ્લાના તમામ નાના-મોટા હનુમાન મંદિરોમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની નજીક આવેલા પૌરાણિક ભૂમાપુરા મંદિરે હજારો ભક્તોની આસ્થાનો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. આ પવિત્ર દિવસે ખેડા જિલ્લાના નડિયાદ સહિતના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મારૂતિ નંદનના જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભૂમાપુરા ખાતે આ ધામક મહોત્સવની શરૂઆત હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલા ભવ્ય યજ્ઞાથી કરવામાં આવી હતી. આ યજ્ઞાની સાથે જ રાત્રિ દરમિયાન વિશેષ ભક્તિ સંગીતના માહોલમાં ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ આયોજન થયું હતું. રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થયેલા આ અખંડ પાઠમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વહેલી સવારના ૫ વાગ્યા સુધી સતત ચાલેલા પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હનુમાન જયંતીની વહેલી સવારે યજ્ઞાની પૂર્ણાહુતિ બાદ હનુમાનજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી અને તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહેમદાવાદના ભૂમાપુરા ઉપરાંત ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા હનુમાન મંદિરો અને રામ મંદિરોમાં પણ હનુમાન જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ શહેરના પ્રાચીન હનુમાન મંદિરોમાં સવારથી જ બજરંગબલીના દર્શન કરવા માટે ભાવિકોની ભીડ જામી હતી. જિલ્લાભરના મંદિરોમાં કષ્ટભંજન દેવનો વિશેષ શણગાર, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા અને મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા હતા. ઠેર-ઠેર હનુમાનજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી.















